﻿લૂક.
23.
અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા. 
અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’” 
અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’” 
અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’” 
પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’” 
પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’” 
અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો. 
હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો. 
હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. 
અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા. 
અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. 
અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા. 
અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને 
તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી. 
તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી. 
માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’” 
હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો. 
પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’” 
એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો. 
ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. 
પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’” 
અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’” 
પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓના ધાર્યા પ્રમાણે તેઓએ તેને મનાવ્યો. 
અને પિલાતે ફેંસલો કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’” 
અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા. 
અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે. 
લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. 
પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો. 
કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’” 
ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’” 
કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે? 
બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા. 
ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં. 
ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા. 
લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’” 
સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા, 
અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’” 
તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે. 
તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’” 
પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’” 
આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી. 
તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’” 
ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’” 
હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો. 
વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો. 
ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તે એમ કહીને મૃત્યુ પામ્યા. 
જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’” 
જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા. 
તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં. 
હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો, 
તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. 
તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો. 
તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો. 
તે દિવસ શુદ્ધિકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો. 
જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું. 
તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. 
