﻿ગી.શા..
146.
યહોવાહની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર. 
મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ; મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ. 
તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો, કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી. 
જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે. 
જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે, જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે. 
યહોવાહે પૃથ્વી તથા આકાશ, સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; તે સદા સત્ય પાળનાર છે. 
તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. યહોવાહ કેદીઓને છોડાવે છે. 
યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે. 
યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે, પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે. 
યહોવાહ સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યહોવાહની સ્તુતિ કરો. 
