﻿ગી.શા..
115.
હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ, 
પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?” 
અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું. 
તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે. 
તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી; 
તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી. 
તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. 
તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે. 
હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. 
હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. 
હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે. 
યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે. 
જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે. 
યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે. 
તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો. 
આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે. 
મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી. 
પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ. 
