﻿ગી.શા..
105.
યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો. 
તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. 
તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો. 
યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો. 
તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો. 
તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો. 
તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે. 
તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે. 
જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી. 
તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો. 
તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ તે સર્વદા તમારું પોતાનું વતન થશે.” 
તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા. 
તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા. 
તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી. 
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.” 
તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો. 
તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો. 
બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં. 
યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો. 
રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો. 
તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો. 
કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે અને પોતાના વડીલોને ડહાપણ શીખવે. 
પછી ઇઝરાયલ મિસરમાં આવ્યો અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો. 
ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા. 
તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી. 
તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા. 
તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા. 
તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ. 
તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં. 
તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં. 
તે બોલ્યા અને માખીઓ તથા જૂનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં. 
તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો. 
તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં. 
તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા. 
તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં. 
તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા. 
તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું. 
જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા. 
તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો. 
ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા. 
તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું. 
તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું. 
તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા. 
તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો. 
કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે અને તેમના નિયમોને પાળે. યહોવાહની સ્તુતિ કરો. 
