﻿હઝકિયેલ.
48.
“હવે કુળોનાં નામ અને તેઓને મળનાર પ્રદેશની વિગતો નીચે પ્રમાણે છે. ઉત્તરની સરહદે દાન કુળ; ભૂમધ્ય સમુદ્રની ઇશાનથી હમાથના કાંઠા સુધી, હસાર-એનાન, અને દક્ષિણે આવેલા દમસ્ક અને ઉત્તરે આવેલા હમાથની વચ્ચે સુધી તે પ્રદેશની પૂર્વ અને પશ્ચિમ તરફની આ સરહદો છે. 
આશેરનો વિસ્તાર દાનની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો પણ તેના જેવી જ છે. 
આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો. 
પછી મનાશ્શા કુળનો પ્રદેશ નફતાલીની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો તેના જેવી જ છે. 
મનાશ્શાની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો પ્રદેશ છે. 
એફ્રાઇમની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રૂબેનનો પ્રદેશ છે. 
રૂબેનની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદાનો પ્રદેશ છે. 
“એ પછીનો પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તે પવિત્ર ભૂમિ છે. એ 25,000 હાથ પહોળી અને વંશજોને આપેલા ભાગ જેટલી જ પૂર્વ પશ્ચિમ લાંબી હશે. એની મધ્યમાં મંદિર આવશે. 
આમાંથી યહોવાને સમર્પણ કરેલો વિસ્તાર 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો હશે. 
આ પવિત્ર ભૂમિમાંથી યાજકોને એક ભાગ મળશે. ઉત્તરદક્ષિણ 25,000 હાથ અને પૂર્વપશ્ચિમ 10,000 હાથ, એ ભાગના મધ્યસ્થાને યહોવાનું મંદિર આવશે. 
“આ પવિત્રભૂમિ સાદોકના વંશના યાજકો માટે રહેશે. ઇસ્રાએલીઓ આડે માગેર્ ગયા હતા ત્યારે બીજા લેવીઓની જેમ તેઓ આડે માગેર્ ગયા નહોતા પણ તેમણે વફાદારીપૂર્વક મારી સેવા બજાવી હતી. 
આથી બીજા લેવીઓને જે ભાગ મળે તેને અડીને જ એમને ખાસ ભાગ મળવો જોઇએ; અને તે સૌથી પવિત્ર ગણાશે. 
“યાજકોના પ્રદેશની સરહદને અડીને લેવીઓનો પ્રદેશ છે, તે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો છે. 
આ ખાસ પ્રકારની ભૂમિનો કોઇ પણ ભાગ વેચવામા આવશે નહિ, તેમજ વેપાર કરવામાં અથવા વિદેશીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહિ. કારણ કે આ શ્રેષ્ઠ ભૂમિ યહોવાની છે અને તે પવિત્ર છે. 
“બાકી રહેલો 5,000 હાથ પહોળો અને 25,000 હાથ લાંબો ટુકડો પવિત્ર નથી, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે. એની મધ્યમાં શહેર આવી શકે. 
શહેર ચોરસ હોય અને તેની ચારે બાજુ 4,500 હાથની જમીન હોય. 
નગરની ઉતરથી પશ્ચિમ તરફ 250 હાથ પહોળી ખુલ્લી જમીન રહેશે; તે ઘાસચારાની જમીન બનશે. 
પવિત્રભૂમિની પાસેના ભાગમાં શહેર બાંધ્યા પછી બાકી રહેલી જમીન 10,000 હાથ પૂર્વમાં અને 10,000 હાથ પશ્ચિમમાં તે શહેરમાં કામ કરતાં લોકો દ્વારા ખેતીવાડી માટે ઉપયોગ કરવામાં આવશે. 
શહેરમાં કામ કરતો કોઇ પણ માણસ, પછી તે ગમે તે વંશનો હોય, એ જમીન ખેડી શકે છે. 
“આ સમગ્ર વિસ્તાર, પવિત્ર ભૂમિ અને શહેરને પણ સમાવતો સમગ્ર વિસ્તાર, ચોરસ હશે અને તેની દરેક બાજુ 25,000 હાથની જમીન હશે. 
“આ મોટા વિસ્તારમાંથી પવિત્ર ભૂમિનો પ્રદેશ અને નગર માટેનો પ્રદેશ છોડીને જે ભૂમિ બાકી રહે તે સરદારનો વિસ્તાર ગણાશે. પૂર્વમાં પવિત્ર ભૂમિની 25,000 હાથ લાંબી સરહદથી પૂર્વ દિશાએ આવેલી સરહદ સુધીનો પ્રદેશ અને એ જ પ્રમાણે પશ્ચિમે 25,000 હાથ લંબાઇની સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ આ બંને પ્રદેશો લંબાઇમાં કુળોના પ્રદેશ પ્રમાણે છે અને સરદારની માલિકીના ગણાશે. આ બંને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે. 
રાજાની માલિકીના આ પ્રદેશોની મધ્યમાં ત્યાં લેવીઓનો વિસ્તાર અને નગરનો વિસ્તાર આવશે. રાજકુમારની માલિકીનો આ વિસ્તાર યહૂદા અને બિન્યામીનના પ્રદેશની વચ્ચે હશે. 
“બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: ઇસ્રાએલ દેશની પૂર્વ સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો એક ભાગ બિન્યામીનનો. 
બિન્યામીનના વિસ્તારની દક્ષિણે આવેલો એક ભાગ શિમયોનનો. બંનેની પૂર્વથી પશ્ચિમની સરહદ એક જ હશે. 
તેની પાસે ઇસ્સાખારનો વિસ્તાર, પૂર્વથી પશ્ચિમ સુધી શિમયોનની સરહદની દક્ષિણે હશે. 
ઝબુલોનનો જે પ્રદેશ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી ઇસ્સાખારની સરહદની દક્ષિણે હશે. 
ગાદનો પ્રદેશ પૂર્વથી પશ્ચિમ સુધી ઝબુલોનની દક્ષિણે હશે. 
“ગાદના પ્રાંતની દક્ષિણ સરહદ તામારથી મરીબાથ કાદેશનાં રણદ્વીપ સુધી અને પછી વાયવ્ય દિશામાં મિસરની સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે.” 
યહોવા મારા માલિકે કહ્યું, “આ રીતે તમારે ઇસ્રાએલના વંશજોને જમીન વહેંચવી જોઇએ અને આ એમના હિસ્સા ગણાશે. 
“નગરના દરવાજા આ પ્રમાણે છે: “ઉત્તરની સરહદ 4,500 હાથ લાંબી છે. 
નગરના દરવાજાના નામ ઇસ્રાએલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવા; ઉત્તરે ત્રણ દરવાજા એક રૂબેનનો દરવાજો, એક યહૂદાનો દરવાજો, અને એક લેવીનો દરવાજો; 
“પૂર્વ બાજુની દિવાલનું માપ 4,500 હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો. 
“દક્ષિણ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલોનનો દરવાજો. 
“પશ્ચિમ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો. 
“ચારે તરફ દિવાલની લંબાઇ 18,000 હાથ છે, અને તે સમયથી શહેરને ‘યહોવા શામ્માહ’ નામ પડશે જેનો અર્થ છે, ‘યહોવા ત્યાં છે.’” 
