﻿હઝકિયેલ.
30.
મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 
“હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે: “‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો! “કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!” 
તે દિવસ, એટલે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે; વાદળોથી ઘેરાયેલો દિવસ, પ્રજાઓને માથે આફત ઉતારવાનો દિવસ! 
એ દિવસે મિસરમાં અને કોનો સંહાર થશે, તેની સંપત્તિ લૂંટાઇ જશે અને દેશ આખો ખેદાનમેદાન થઇ જશે. 
“‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે. 
“‘યહોવા મારા માલિકના આ વચન છે: મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે. ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ તરવારથી નાશ પામશે. એમ યહોવા મારા માલિક જાહેર કરે છે. 
તે તથા તેની સાથેના આસપાસના દેશો ઉજ્જડ થશે અને તેના નગરો તથા તેની આજુબાજુના નગરો ખંડિયેર થઇ જશે. 
હું મિસરને આગ ચાંપીશ અને તેના બધા ટેકેદારોનો નાશ કરી નાખીશ, ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું. 
“‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે!’” 
યહોવા મારા માલિકના આ વચન છે: “હું બાબિલના રાજા નબૂખાદરેસ્સારને હાથે મિસરની પ્રજાનો અંત આણીશ. 
તે અને તેની ઘાતકી સેના આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે. તેઓ મિસર સામે તરવાર ચલાવશે અને આખો દેશ મૂડદાંથી છવાઇ જશે. 
હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને મિસરને બદમાશોને સોંપી દઇશ. હું પરદેશીઓને હાથે આખા દેશને વેરાન બનાવી દઇશ. આ હું યહોવા બોલ્યો છું.” 
યહોવા મારા માલિકના આ વચન છે: “હું મેમ્ફિસની મૂર્તિઓનો અને પૂતળાંઓનો નાશ કરીશ. મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે. આખા દેશમાં ભય વ્યાપી જશે. 
હું પાથોર્સને વેરાન બનાવી દઇશ અને સોઆનને આગ ચાંપીશ અને નોનોને સજા કરીશ. 
હું મિસરના સૌથી મજબૂત કિલ્લાઓ પર મારો રોષ ઠાલવીશ અને નોફની જાહોજલાલી અને પાપનો નાશ કરીશ. 
હું મિસરને આગ ચાંપીશ અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે. નોફની દિવાલમાં ગાબડાં પડશે અને, મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે. 
આવેનના તથા પી-બેસેથના યુવાનો તરવારથી માર્યા જશે અને બાકીના લોકોને ગુલામ તરીકે લઇ જવામાં આવશે. 
જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે અને આખા મિસર પર વાદળ ઘેરાશે, અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે. 
હું જ્યારે મિસરનું આવું કરીશ ત્યારે તે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.” 
યહોયાકીન રાજાને બંદીવાન થયાના અગિયારમાં વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે મને યહોવા તરફથી આ સંદેશો મળ્યો: 
“હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.” 
તેથી યહોવા મારા માલિક, કહે છે, કે “હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું એનો સાજો અને પહેલાં મેં ભાંગેલો એમ બંને હાથ ભાંગી નાખનાર છું. અને તેના હાથમાંથી તરવાર પડી જશે. 
હું મિસરીઓને બીજી પ્રજાઓમાં અને વિદેશીઓમાં વેરવિખેર કરી નાખીશ. 
ત્યાર બાદ હું બાબિલના રાજાના હાથ મજબૂત કરીશ અને તેમાં મારી તરવાર પકડાવીશ. પણ મિસરના રાજાના હાથ હું ભાંગી નાખીશ અને તે પોતાના દુશ્મનો સામે વધ થયેલા માણસની જેમ ચીસો પાડતો રહેશે. 
“હું જરૂર બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફારુનના હાથ નબળાં પડી જશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તરવાર આપીશ અને તે મિસર તરફ તેને લંબાવશે ત્યારે સૌને ખાતરી થશે કે હું યહોવા છું. 
હું મિસરવાસીઓને બીજી પ્રજાઓમાં અને અન્ય દેશોમાં વિખેરી નાખીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.” 
