﻿ગીતશાસ્ત્ર.
146.
યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર. 
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ. 
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો, કારણકે તેમની પાસે તારણ નથી. 
તેનો પ્રાણ તેમને છોડી જાય છે, અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે. 
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે; અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે. 
યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે, તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે. 
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે. 
યહોવા આંધળાને દેખતાઁ કરે છે; યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે, કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે. 
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે; અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે; પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે. 
યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે. યહોવાની સ્તુતિ થાઓ! 
