﻿ગીતશાસ્ત્ર.
137.
અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા; સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા. 
એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી; અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી. 
અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે, ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ. 
આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો કેવી રીતે ગાઇ શકીએ? 
હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ, “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.” 
જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું, અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો મારી જીભ મારા તાળવાને ચોટી જાય અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ. 
હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ તે દિવસે અદોમીઓએ જે કહ્યું તે તમે ભૂલી ન જતાં; તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.” 
હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ. 
હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે; તે ધન્ય કહેવાશે. 
