﻿ગીતશાસ્ત્ર.
116.
યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે. 
તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે; માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ. 
મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં. 
ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો, “હે યહોવા મને બચાવો.” 
યહોવા ન્યાયી અને કૃપાળુ છે; આપણા દેવ ખરેખર માયાળુ છે. 
યહોવા અસહાયનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો. 
હે મારા આત્મા, વિશ્રામ કરો! કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે. 
તમે મારા પ્રાણને મૃત્યુથી અને મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે. 
હું જીવલોકમાં જીવતો રહીશ; અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ. 
“હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે. 
મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે, “સર્વ માણસો જૂઠાઁ છે.” 
યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો હું તેને શો બદલો આપું? 
મારું રક્ષણ કરવા માટે તેમની માટે હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ; અને હું દેવના નામે પોકારીશ. 
યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે, તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ. 
યહોવાની ષ્ટિમાં તેના ભકતનું મૃત્યુ કિંમતી છે. 
હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે, હે યહોવા, ખરેખર હું તમારો દાસ; તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો. 
હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ, અને હું યહોવાના નામે પોકારીશ. 
મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ; તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ. 
હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ. યહોવાની સ્તુતિ થાઓ. 
