﻿ગીતશાસ્ત્ર.
34.
હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ. 
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે. આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે. 
આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ. અને તેના નામનો મહિમા વધારીએ. 
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો. 
જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે; તેઓના મુખ પર કોઇ નિરાશા નથી. 
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો, અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો. 
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે. 
યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ. જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે. 
યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે; કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી. 
અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે, પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી. 
મારા બાળકો આવો, મારું સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.” 
સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે? અને તમારામાંથી જીવન વહાલું કોને છે? 
તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો; ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો. 
દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો. શાંતિ શોધી તેની પાછળ લાગો. 
યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે. તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે. 
દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે. 
યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે, અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે. 
યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે. જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે. 
ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે, પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે. 
યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે, તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી. 
દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે, અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે. 
યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ. 
