﻿અયૂબ.
36.
વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું, 
“જરા લાંબો સમય મને નિભાવી લે, દેવના પક્ષમાં હું થોડા વધુ શબ્દો છે કહેવા ઇચ્છું છું. 
હું મારું જ્ઞાન એકેએક સાથે વહેચીશ, દેવે મારું સર્જન કર્યુ અને તે ન્યાયી છે તે હું સાબિત કરીશ. 
હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું. 
“દેવ મહા બળવાન છે, પણ એ કોઇનો તિરસ્કાર કરતા નથી. દેવ ખૂબ બુદ્ધિમાન છે, પણ ખૂબ વિદ્વાન પણ છે. 
એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી; પણ ગરીબોનો ન્યાય કરે છે. 
જે સચ્ચાઇથી રહે છે, તે લોકો પર દેવ નજર રાખે છે. તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે અને તેઓ સદાય ઉચ્ચ સ્થાન પર રહે છે. 
તેથી જો લોકોને સજા થઇ છે, જો તેઓ સાંકળ અને દોરડાથી બંધાયેલા છે, તો તેઓએ કાંઇક ખોટું કર્યું છે. 
અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું. દેવ તેને કહેશે કે તેઓએ પાપ કર્યા હતા. દેવ તેઓને કહેશે તેઓ ઉદ્ધત હતા. 
દેવ તેઓને પાપ કરવાનું મૂકી દેવાનો આદેશ આપશે અને તેઓના શિક્ષણ તરફ કાન ઉઘાડે છે. 
“તેઓ જો એનું માને અને એની સેવા કરે તો તેઓ તેમનું બાકીનું જીવન સમૃદ્ધિમાં ગાળશે. તેઓના વષોર્ સુખથી ભરેલા હશે. 
પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે અને મૃત્યુલોકમાં પહોંચી જાય. 
“લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે. દેવ તેઓને શિક્ષા કરે છે ત્યારે પણ તેઓ તેમને મદદ માટે પ્રાર્થના કરતા નથી. 
તેઓ હજુ જુવાન હશે મરી જશે. અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે. 
પણ દુષ્ટલોકોને તેઓના દુ:ખ દ્વારા નરમ બનાવે છે. દેવ તે દુ:ખ દ્વારા લોકોને જગાડી અને તેને સાંભળતા કરે છે. 
“તેણે તને દુ:ખમાંથી દૂર કર્યો છે, તેણે તને નિરાંતનું જીવન આપ્યું છે. તેણે તને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે. 
પરંતુ હવે અયૂબ, તું દોષિત ઠરાયો. તેથી તને એક દુષ્ટ વ્યકિતની જેમ સજા થઇ. 
હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ, લાંચ તમારું મન બદલાવે નહિ. 
સંકટમાં તારી અઢળક સમૃદ્ધિ તને શા કામની? તારી શકિત તારા શા કામની? 
રાતે આવવાની ઇચ્છા કરતો નહિ. લોકો રાત્રિમા અલોપ થઇ જવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે તેઓ પોતાને દેવથી સંતાડી શકશે. 
અયૂબ, તેઁ ખૂબજ પીડા ભોગવી છે. પણ અનિષ્ટ પસંદ કરતો નહિ કંઇ પણ ખોટું નહિ કરવાની સાવચેતી રાખજે. 
“દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે. એના જેવો ગુરુ છે કોણ? 
એમણે શું કરવું એ કોઇ એમને કહી શકે ખરું? તમે ખોટું કર્યુ છે ‘એમ એમને કોણ કહી શકે?’ 
તેમણે પ્રતાપી કાર્યો કરેલા છે. તેમણે કરેલાં મહાન કાર્યો માટે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ. લોકોએ દેવની સ્તુતિ વર્ણવતા ઘણા ગીતો લખ્યા છે. 
દેવે જે કાઇં કર્યુ છે તે બધાએ જોયું છે, દૂર દેશાવરમાં પણ લોકો તે જોઇ શકે છે. 
દેવ એટલાં મહાન છે કે આપણે તેમને સમજી શકતા નથી. કેટલા સમયથી દેવ છે તે કોઇ સમજી શકે એમ નથી. 
“દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ અને તેનું ઝાકળ અને વરસાદમાં રૂપાંતર કરે છે. 
જે વાદળોમાંથી પૃથ્વી પર વરસે છે અને અનેક લોકો પર પડે છે. 
દેવ કેવી રીતે વાદળો પાથરે છે, અને તેમાં થતી ગર્જનાઓને કોઇ સમજી શકે છે ખરું? 
જુઓ, દેવ પૃથ્વી પર વિજળી ફેલાવે છે અને મહાસાગરના ઊંડામાં ઊંડા ભાગને ઢાંકી દે છે. 
દેવ પોતાના અદ્ભૂત અંકુશ વડે, તે લોકો પર શાસન કરે છે અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે. 
તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે અને જ્યાં તેને પાડવી હોય ત્યાં પડવાની આજ્ઞા કરે છે. 
ગર્જના ચેતવણી આપે છે કે તોફાન નજીક આવી રહ્યું છે. તે દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે. 
