﻿અયૂબ.
34.
અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું: 
“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો. 
જેમ જીભ સ્વાદને ઓળખી શકે છે, તેમ કાન શબ્દોને પારખી શકે છે. 
ચાલો આપણે પસંદ કરીએ કે સાચું શું છે, ચાલો આપણે નક્કી કરીએ કે સારું શું છે. 
કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિદોર્ષ છું અને દેવ મારી સાથે ન્યાયી નથી. 
હું નિદોર્ષ છું છતાં હું જૂઠા બોલો તરીકે ગણાઉં છું; એમણે મને સતત જીવલેણ પ્રહાર કર્યો છે; પણ મેં કઇં વાંક ગુનો કર્યો નથી.’ 
“અયૂબના જેવો બીજો કોણ છે? અયૂબ જેટલી સરળતાથી પાણી પીએ છે તેટલી સરળતાથી તિરસ્કાર પી જાય છે. 
એને દુષ્ટ લોકોનીં સંગત ગમે છે, એ દુષ્ટ લોકોની સાથે ફરે છે. 
તેણે કહ્યું છે, ‘દેવને ખુશ કરવાથી તેમાઁ તેને કોઇ લાભ નથી.’ 
“તેથી હે શાણા માણસો, મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ, અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ. 
તે માણસે જે કર્યુ હશે તેનો બદલો તે માણસને દેવ આપશે. 
દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી. 
પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી. કોઇએ દેવને આખી દુનિયાની જવાબદારી સોંપી નથી. દેવેજ બધી વસ્તુઓ બનાવી છે અને તે વસ્તુઓ પર હમેશા તેમની જ સત્તા રહી છે. 
જો દેવ પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે. 
તો તમામ સજીવોનો વિનાશ થાય અને માણસ જાત પાછી ધૂળ ભેગી થઇ જાય. 
“જો તમારામાં સમજ શકિત હોય તો મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો. 
જે ન્યાયને ધિક્કારે, તો એ કદી રાજ ચલાવી શકે? દેવ ન્યાયી અને પરાક્રમી છે. શું તને લાગે છે તું તેને દોષિત ઠરાવી શકીશ? 
શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’ અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’ 
દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી, ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી. કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે. 
એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે. જ્યારે દેવ પ્રહાર કરે છે, બળવાન પણ મરી જાય છે. મહાન લોકો અદ્રશ્ય થઇ જાય છે અને તેમાં માણસનો હાથ સંડોવાયેલો નથી. 
“કારણકે, દેવની નજર માણસની ચાલચલગત પર હોય છે. તે તેની સઘળી વર્તણૂક જુએ છે. 
દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઇ પડદો કે અંધકાર નથી. 
દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી. દેવને લોકો વિશે અભિપ્રાય આપવા તેમને સામે લાવવાની જરૂર નથી. 
જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે, તો દેવને તેઓને માટે પ્રશ્ર્ન કરવાની જરૂર નથી. તે સર્વથા તે લોકોનો વિનાશ કરશે અને બીજાઓને નેતા તરીકે નિયુકત કરશે. 
તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત દુષ્ટ લોકોને પાયમાલ કરશે અને તેઓનો નાશ કરશે. 
દેવ દુષ્ટ લોકોને તેઓએ જે દુષ્કમોર્ કર્યા છે તેને માટે બીજાઓ જ્યારે જોતા હશે ત્યારે સજા કરશે. 
કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે, તેઓ એના માર્ગને અનુસરવા માગતા નથી. 
તેમનો પોકાર દેવ સુધી પહોંચે છે અને દેવ એ દુ:ખી લોકોનો સાદ સાંભળે છે. 
પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી. જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો કોઇ તેને શોધી શકે તેમ નથી. 
અને જો તે લોકોને પાપ કરવાનું કારણ શાસન છે તો દેવ તેને તેની સત્તા પરથી ઊતારી નાખશે. 
“શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે, ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ. 
દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત મને શીખવશો જો મેં ખોટું કર્યુ હોય તો હું ફરી એવું કરીશ નહિ.’ 
અયૂબ, તને દેવ પાસેથી ફળ જોઇએ છે. પણ તારે તે બદલવું નથી. અયૂબ એ તારો નિર્ણય છે અને મારો નથી. મને કહે તું શું જાણે છે. 
ડાહ્યો માણસ મને સાંભળશે ડાહ્યો માણસ કહેશે. 
‘અયૂબ જ્ઞાન વગર બોલે છે. એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’ 
મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ. કારણકે અયૂબ અમને દુષ્ટ માણસો જેવા જવાબ આપે છે. અંત સુધી તેની કસોટી થવી જોઇએ. 
અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે. અયૂબ ત્યાં અમારું અપમાન કરી અમારી પહેલા બેસે છે. અને તે દેવની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.” 
