﻿અયૂબ.
5.
“હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું? તું હવે ક્યા દેવદૂતને શરણે જશે? 
ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે, ઇર્ષ્યા મૂર્ખનો નાશ કરે છે. 
મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે. 
તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી. 
તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે, થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે. તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે! 
જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી, અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી. 
પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે. 
છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ અને તેમની સામે મારો કિસ્સો રજુ કરીશ. 
દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી. તે અગણિત ચમત્કારો કરે છે. 
તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે અને ખેતરોમાં જળ પહોંચાડે છે. 
તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે. 
તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય. 
કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે. દેવ તેમના દુષ્ટકમોર્નો નાશ કરે છે. 
ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે, તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે. 
દેવ ગરીબને મોતમાંથી બચાવે છે. તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે. 
તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે. 
દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે, માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ. 
કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; ઘા કરે છે અને ઘા રુઝાવે પણ છે. 
તેઓ તમને છ આફતોમાંથી બચાવશે, સાતમીથી તમને દુ:ખ થશે નહિ. 
તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે. 
નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ, અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ. 
વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ. અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ગભરાઇશ નહિ, 
તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે, જંગલી જાનવરો પણ તારી સાથે સુલેહ કરશે. 
તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ, અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે. 
તને પુષ્કળ સંતાનો થશે અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે. 
તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ, તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ. 
“અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.” 
