﻿નિર્ગમન.
27.
“વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય. 
ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી. 
“અને તેનાં ભસ્મપાત્રો, પાવડાંઓ, તપેલાં તથા પંજેટી તથા સગડીઓ તું બનાવજે, અને તેનાં સધળાં પાત્રો કાંસાનાં બનાવજે. 
અને વળી વેદી માંટે તું કાંસાની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું કાંસાના ચાર કડાં બનાવજે. 
અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે. 
“અને વેદીને માંટે તું બાવળના દાંડા બનાવજે અને તેને કાંસાથી મઢી દેજે. 
વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. 
વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે. 
“મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો. 
પડદાઓ લટકાવવા માંટે કાંસાની 20 થાંભલીઓ, કાંસાની 20 કૂંભીઓ બેસાડવી અને એ થાંભલીઓના આડા સળિયા અને આંકડા ચાંદીના બનાવવા. 
ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાંણે કરવાનું છે. કાંસાની કૂંભીઓમાં બેસાડેલા 20 સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે 100 હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે. 
“એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માંટે 50 હાથ લાંબા પડદા હોય અને તેને માંટે દશ થાંભલી અને દશ કૂંભીઓ હોય. 
પૂર્વ દિશામાં પણ તે જ રીતે 50 હાથ લાંબા પડદાઓ લટકાવવા. 
પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથના પડદા હોય અને તેને માંટે ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય. 
અને બીજી બાજુએ પણ 15 હાથના પડદા અને ત્રણ થાંબલી અને ત્રણ કૂંભી હોય. 
“પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે. 
ચોકની આજુબાજુની બધી થાંભલીઓ ચાંદીના સળીયાથી જોડાયેલી હોય, તેમના સાંકળા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ કાંસાની હોય. 
આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ. 
પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ. 
“દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો. 
હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.” 
